અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં બનાવવામાં આવશે અન્ય 6 દેવી-દેવતાના મંદિરો
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી અંતિમ યોજના અનુસાર, રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં 6 દેવોના મંદિરો પણ બનાવવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરના પાયાનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

અંતિમ યોજના અનુસાર, જન્મભૂમિ સંકુલમાં વિવિધ દેવતાઓના 6 મંદિરોનું નિર્માણ કરવામાં આવશે. આ મુજબ, પરિસરમાં ભગવાન સૂર્ય, ભગવાન ગણેશ, ભગવાન શિવ, દેવી દુર્ગા, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માના મંદિરો બનાવવામાં આવશે. મિશ્રાએ કહ્યું કે, ‘અલગ અલગ દેવતાઓના આ 6 મંદિરો રામ મંદિરની બાહ્ય પરિઘ પર પરંતુ પરિસરની અંદર બનાવવામાં આવશે. હિન્દુ ધર્મમાં ભગવાન રામની આરાધનાની સાથે આ દેવોની પૂજા પણ ખૂબ જ મહત્વની છે.
અનિલ મિશ્રાએ કહ્યું કે, પાયાનું કામ પૂર્ણ થયા બાદ મંદિરના આધારનું બાંધકામ ઓક્ટોબરના અંતથી અથવા નવેમ્બરના પહેલા સપ્તાહથી શરૂ થશે. તેમણે કહ્યું કે ભવ્ય મંદિરના બંધારણમાં પથ્થરો નાખવા માટે ચાર અલગ અલગ જગ્યાએ ચાર ટાવર ક્રેન લગાવવામાં આવશે. મિશ્રાએ કહ્યું કે 1 લાખ 20 હજાર ચોરસ ફૂટ પહોળું અને 50 ફૂટ ઉંડા ફાઉન્ડેશનનું બાંધકામ ઓક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. તેમણે કહ્યું કે મંદિર ટ્રસ્ટે હવે ફાઉન્ડેશન વિસ્તાર પર ચાર વધારાના સ્તરો બાંધવાનું નક્કી કર્યું છે જેથી ફાઉન્ડેશન દરિયાની સપાટીથી 107 મીટર ઉપર આવે.

રામજન્મભૂમિ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, સિમેન્ટ વધુ ગરમી શોષી લે છે, જે વાતાવરણમાં ગરમીમાં વધારો કરશે. આને ટાળવા માટે, મંદિરના નિર્માણમાં સિમેન્ટનો ન્યૂનતમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રામ મંદિરના ‘સુપર સ્ટ્રક્ચર’નો આધાર ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરથી 3.5 લાખ ઘનફૂટ પથ્થરોથી બાંધવામાં આવનાર છે. મિર્ઝાપુર સ્થિત બે ખાનગી કંપનીઓને પત્થરો કાપવા અને સ્થાપિત કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મિર્ઝાપુરમાં માત્ર 10 થી 12 કલાક વીજ પુરવઠો હોવાને કારણે પથ્થરો કાપવા અને ઘસવાની કામગીરી ધીમી પડી છે.

ઉત્તર પ્રદેશમાં આ વર્ષના દીપોત્સવ કાર્યક્રમમાં અયોધ્યા પોતાનો જ રેકોર્ડ તોડતી જોવા મળશે. આ વખતે સરયુના કિનારે 7.50 લાખ દીવા પ્રગટાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વખતના દીપોત્સવ કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, આ આમંત્રણ પર હજુ સુધી વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અયોધ્યા પ્રશાસન કાર્યક્રમને સફળ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યું છે તેમજ પીએમઓના જવાબની રાહ જોઈ રહ્યું છે. આ વર્ષે દીપોત્સવનો કાર્યક્રમ 1 થી 6 નવેમ્બર સુધી યોજાવાનો છે.

છેલ્લા ચાર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજવાનો પ્રસ્તાવ છે. રાજ્ય સરકારના ઈરાદા મુજબ જિલ્લા વહીવટીતંત્ર આ કાર્યક્રમને અગાઉના વર્ષોની સરખામણીમાં સારી રીતે યોજવા માટે તૈયાર છે. રાજ્ય સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે કોવિડને ધ્યાનમાં રાખીને લાદવામાં આવેલા પ્રતિબંધો હોવા છતાં દિવ્ય દીપોત્સવ કાર્યક્રમની ભવ્યતામાં કોઈ કમી રહેશે નહીં.
દીપોત્સવમાં મેળાનું આયોજન કરવામાં આવશે
આ વર્ષના 6 દિવસીય દીપોત્સવની ખાસ વિશેષતા એ છે કે 1 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી દીપોત્સવ મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં 3 નવેમ્બરે 7.50 લાખ દીવા પ્રગટાવીને દિવ્ય દીપોત્સવ ઉજવાશે અને 12 નવેમ્બરથી 19 નવેમ્બર દરમિયાન પરિક્રમા કાર્તિક પૂર્ણિમા મેળાનું આયોજન કરવામાં આવશે.
0 Response to "અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં બનાવવામાં આવશે અન્ય 6 દેવી-દેવતાના મંદિરો"
ટિપ્પણી પોસ્ટ કરો