વડોદરા: માતાની હત્યા કરનાર પુત્રએ પોલીસને કહ્યું- એનામાં ચુડેલ હતી તેને જ બહાર કાઢી છે, મારી નાખી નથી’
કેટલાક દિવસો પહેલાં એક ઘટના બની હતી અને આખું ગુજરાત ધણધણી ઉઠ્યું હતું. આ ઘટના હતી વડોદરાની અને જેમાં એક દીકરાએ જ સગી જનેતાની હત્યા કરીને સળગાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે રોજ આ ઘટનાને લઈ કોઈને કોઈ નવી માહિતી સામે આવી રહી છે અને હત્યારો દીકરો કંઈક અલગ જ જવાબ આપી રહ્યો છે. તો આવો વિગતે જાણીએ કે હવે આ કેસમાં શું નવી માહિતી મળી રહી છે. કેસ કંઈક એવો હતો કે, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં રહેતા 28 વર્ષીય પુત્રએ તેની વિકલાંગ માતાની સોમવારે મધરાતે કાચના ટુકડા વડે ઘા મારી હત્યા કર્યા બાદ ઘરના બખોલામાંથી પાછળના ભાગે લાશને ફેંકી દઈ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે હવે આ કેસમાં પોલીસ તપાસમાં કંઈક એવું બહાર આવ્યું છે કે ફરીથી હાહાકાર મચી ગયો છે. પોલીસના ગળે ન ઊતરે એવી વાતો કરતા દિવ્યેશે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેની માતામાં ચુડેલ હતી, તેને જ બહાર કાઢી છે, મેં મારી નાખી નથી. પ્રાપ્ય માહિતી અનુસાર ગોત્રીના જય અંબેનગરમાં રહેતા દિવ્યેશ સરદારસિંહ બારિયાએ સોમવારે રાત્રે 12-30 વાગે તેની માતા ભીખીબેન બારિયાની કાચના ટુકડાના ઘા મારી હત્યા કરી હતી. દિવ્યેશની માતા ભીખીબેન અકસ્માત બાદ છેલ્લાં 9 વર્ષથી લકવાગ્રસ્ત બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે દિવ્યેશને દારૂના નશાની પણ આદત હતી. તેણે સોમવારે મધરાતે માતાની હત્યા કરી હતી.
જે તે સમયે પણ દિવ્યેશે કંઈક અલગ કહ્યું હતું કે તેનામાં શિવજીએ પ્રવેશ કર્યો હતો. તેના સપનામાં તેના પપ્પા આવ્યા હતા અને જણાવ્યું હતું કે મમ્મીને પણ મોકલી દે, તેથી મેં મમ્મીને મોકલી દીધી હતી. માતાની હત્યા કર્યા બાદ ઘરના બખોલામાંથી લાશને પાછળના ભાગે કચરાના ઢગલામાં ફેંકી હતી. પોલીસે સ્થળ પરથી જ દિવ્યેશને ઝડપી લીધો હતો. પોલીસે કાચનો ટુકડો પણ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે ઘણી ગળે પણ ના ઊતરે એવી વાતો પોલીસ સમક્ષ કરી હતી, તેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઇ હતી.
ત્યારે હવે આ હત્યારો દીકરો કંઈક અલગ કહી રહ્યો છે. પોલીસ પૂછપરછમાં દિવ્યેશે જણાવ્યું હતું કે મારી માતામાં ચુડેલે પ્રવેશ કર્યો હતો. અમારા ગામમાં 200 વર્ષ પહેલાં એક યુવતી ચુડેલ થઇ હતી અને ત્યાર બાદ ગામમાં કોઇના લગ્ન થતા ન હતા. મારી માતામાં આ ચુડેલ આવી ગઇ હતી, જેથી તેને મેં માતામાંથી બહાર કાઢી લીધી હતી. મેં મારી માતાને મારી નાખી નથી, પણ ચુડેલને બહાર કાઢી હતી. હવે ગામમાં બધા કુંવારા લોકો લગ્ન કરી શકશે. આ સાથે જ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે દિવ્યેશને તેની બહેન સાથે પણ ખાસ સંબંધ ન હતો અને 15 દિવસથી તો તેણે બહેનને પણ તેના ઘરે ના આવવાનું કહી દીધું હતું.
હાલની પરિસ્થિતિની વાત કરીએ તો પોલીસે તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરી હતી અને અદાલતમાં રજૂ કરી જેલમાં મોકલી દેવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસે મૃતક વૃદ્ધાનું પોસ્ટમોર્ટમ કરાવતાં બહાર આવ્યું હતું કે દિવ્યેશે કાચના ટુકડા વડે તેની માતાના ગળાથી શરૂ કરી કમર નીચેના ભાગ સુધી મોટો ચીરો કરીને હત્યા કરી હતી. માતા લકવાગ્રસ્ત હોવાથી પુત્રનો પ્રતિકાર પણ કરી શકે એમ ન હતી. ત્યારે હાલમાં ગુજરાતમાં આ કેસના કારણે લોકોમાં અરેરાટી ઉપડી ગઈ છે અને હવે બધા એક જ વાત કરી રહ્યા છે કે આ તે કેવો રોગ કે જે સગી જનેતાને જ મારવાના વિચાર કરાવે.
0 Response to "વડોદરા: માતાની હત્યા કરનાર પુત્રએ પોલીસને કહ્યું- એનામાં ચુડેલ હતી તેને જ બહાર કાઢી છે, મારી નાખી નથી’"
ટિપ્પણી પોસ્ટ કરો