અ’વાદમાં બન્યો દેશનો સૌથી પહેલો અનોખો ‘જેરિયાટ્રિક વોર્ડ’,કોરોનાના 70+ના વડીલોને અપાઈ છે બધી જ સુવિધા
તમે ‘જેરિયાટ્રિક વોર્ડ’નામ સાંભળ્યું છે? જો ના, તો પછી તમારે આ રસપ્રદ સમાચાર વાંચવા જોઈએ. બીજી માહિતીની વાત કરીએ એ પહેલાં આ વોર્ડમાં કામ કરતાં એક ડોક્ટર જે પી મોદી શું કહે છે એ સાંભળીએ, કહે છે કે- આ વોર્ડમાં ફક્ત 70 વર્ષથી વધુ વયના જ કોરોના પોઝિટિવ વડીલોને દાખલ કરાય છે. આ જેરિયાટ્રિક વોર્ડમાં અમારું લક્ષ્ય છે- હીલિંગ વિથ કેર, એટલે કે અમે તેમની નાનામાં નાની જરૂરિયાતો-તકલીફોને ધ્યાનમાં રાખીને વિશેષ સુવિધાઓ સાથેનો ઈલાજ પૂરો પાડીએ છીએ. જેરિયાટ્રિક વોર્ડમાં અશક્ત વડીલોના ડાઈપર ચેન્જ કરવાથી માંડીને તેમને ટોઇલેટના યુઝમાં મદદ કરે એ માટે ગ્રેબર, મનોરંજન માટે ટીવી, મનોબળ જળવાઈ રહે એ માટે કાઉન્સલિંગ ઉપરાંત દર 6 પેશન્ટે એક અટેન્ડન્ટની સવલત અપાય છે.
આખા દેશમાં સિનિયર સિટિઝનો માટેનો આવો આ સૌપ્રથમ અલાયદો વોર્ડ
આગળ આ ડોક્ટર કહે છે કે, આપ સૌ જાણો છો કે હાલમાં દેશભરમાં કોવિડ-19નો સૌથી મોટો ખતરો નાનાં બાળકો અને સિનિયર સિટિઝનોને છે. બાળકો માટે તો દરેક હોસ્પિટલમાં પિડિયાટ્રિક વોર્ડ હોય છે જ્યાં તેમને વિશેષ કાળજી-સુવિધા પૂરી પડાય છે, પરંતુ સિનિયર સિટિઝનો માટે કોઈ આવી અનોખી અને સારી વ્યવસ્થા નથી અને એવું અમે અહીં પણ ઈલાજ કરતી વેળાએ મહેસૂસ કરતા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને જ અમે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખાસ આવા કોરોનાગ્રસ્ત વડીલો માટે અલાયદો વોર્ડ શરૂ કર્યો, જે આખા દેશમાં સિનિયર સિટિઝનો માટેનો આવો આ સૌપ્રથમ અલાયદો વોર્ડ છે, જેનું નામ છે ‘જેરિયાટ્રિક વોર્ડ’
કોરોનાને કારણે વયોવૃદ્ધમાં મૃત્યુદર વધુ જોવા મળે છે
ડૉ. જે. પી. મોદી કહે છે, કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ પ્રમાણે વયોવૃદ્ધ દર્દીઓને ખાસ પ્રકારની સારસંભાળ મળી રહે એ માટેની વ્યવસ્થા ઊભી કરવા સૂચન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ દ્વારા દેશનો સૌપ્રથમ જેરિયાટ્રિક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાને કારણે વયોવૃદ્ધમાં મૃત્યુદર વધુ જોવા મળે છે, જેના પર કાબૂ મેળવી શકાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી 20 ટકા પ્રમાણ વયોવૃદ્ધ દર્દીઓ જોવા મળ્યું છે આજે કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં સારવાર લઈ લઈ રહેલા 375 દર્દીમાંથી 48ને જેરિયાટ્રિક વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
6 દર્દી વચ્ચે એક પેશન્ટ અટેન્ડન્ટ રહીને વયસ્ક દર્દીઓને કરશે મદદ
પોતાની વાતને આગળ વધારતાં ડો. જે.પી મોદીએ કહ્યું હતું કે આ વોર્ડ ખાસ 70 વર્ષથી વધુની ઉંમર ધરાવતા કોરાનાગ્રસ્ત દર્દીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં દાખલ તમામ દર્દીઓ માટે અલાયદા પેશન્ટ અટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવી છે. જે 6 દર્દી વચ્ચે એક પેશન્ટ અટેન્ડન્ટ રહીને વયસ્ક દર્દીઓની પ્રાથમિક જરૂરિયાતો, જેવી કે જમાડવું, પાણી પિવડાવવું, બાથ આપવું, તેમને પેશાબ માટે લઈ જવું, ડાયપર બદલવા જેવી બાબતોનું ધ્યાન રાખશે. આ વોર્ડમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ જેઓ વયસ્ક દર્દીઓની સારસંભાળમાં અનુભવી હોય તેવા જ નિમણૂક કરવામાં આવશે.
દર્દીઓના મનોરંજન માટે દરેક કોવિડ વોર્ડમાં ટી. વી. મૂકવામાં આવ્યાં
આ અનોખા વોર્ડમાં ઉપલબ્ધ સુવિધાઓની વાત કરીએ તો વયોવૃદ્ધ દર્દીઓને ચાલવામાં તકલીફ ન પડે એ માટે વોકર્સ મૂકવામાં આવ્યાં છે. બાથરૂમ કે ટોઇલેટમાં જાય ત્યારે બેસવા કે ઊભા થવામાં તકલીફ ના પડે એ માટે ગ્રેબર લગાડવામાં આવ્યાં છે. દર્દીઓ માટે ખુરસીની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્હીલચેર મૂકવામાં આવી છે. દર્દીઓના મનોરંજન માટે દરેક કોવિડ વોર્ડમાં ટી. વી. મૂકવામાં આવ્યાં છે.
વયસ્ક દર્દીઓને ત્વરિત સારવાર મળતાં મૃત્યુદર ઘટશે
વધારે વાત કરતાં ડોક્ટરે કહ્યું કે-હાલમાં 60 દર્દીને આ વોર્ડમાં સારવાર આપી શકવાની ક્ષમતા છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ વધુ વોર્ડ ઊભા કરવાનું પણ અમારું આયોજન છે. જેરિયાટ્રિક વોર્ડમાં વયસ્ક દર્દીઓને વધુ સારી અને ત્વરિત સારવાર મળી રહેશે અને વયસ્ક દર્દીઓનો મૃત્યુદર ઘટશે. કોરોના સંક્રમિત થઈ સારવાર માટે આવતા 70 વર્ષથી વધુની ઉંમરના કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ખાસ પ્રકારની સારવાર અને સારસંભાળની જરૂર પડતી હોય છે. એમાં પણ કોમોર્બિડી ધરાવતા દર્દીઓમાં આવા વાઇરસની ગંભીરતા, સંવેદનશીલતા વધુ જોવા મળે છે. આવા દર્દીઓની સારવારને લગતી પ્રાથમિક જરૂરિયાત અન્ય દર્દીઓની સરખામણીમાં વધુ સંવેદનશીલ હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ દ્વારા આજ રોજ જેરિયાટ્રિક વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે.
હાલમાં દેશ ભરમાં આ અનોખા વોર્ડ થઈ રહી છે ચર્ચા
સામાન્ય રીતે હોસ્પિટલમાં બાળરોગ વિભાગ, સ્ત્રીરોગ વિભાગ તેમજ પુરુષ રોગના અલાયદા વિભાગ જોવા મળતા હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત વયોવૃદ્ધ દર્દીઓની દરકાર કરીને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે, પ્રાથમિક સારવારથી લઈ ઇમર્જન્સી સારવાર, સારસંભાળમાં કોઈપણ પ્રકારની અગવડ કે તકલીફ ઊભી ન થાય એ કારણોસર સ્વાસ્થ્ય સેવાઓમાં વધુ એક વોર્ડ ઉમેરવામાં આવ્યો છે. જેની હાલમાં દેશ ભરમાં ચર્ચા કરવામાં આવી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "અ’વાદમાં બન્યો દેશનો સૌથી પહેલો અનોખો ‘જેરિયાટ્રિક વોર્ડ’,કોરોનાના 70+ના વડીલોને અપાઈ છે બધી જ સુવિધા"
ટિપ્પણી પોસ્ટ કરો