કોરોના કેસને લઈ આકરો નિર્ણય, પોઝિટિવ દર્દીના મોબાઇલ કોલ ટ્રેસિંગ કરીને આવા લોકોને કરાશે ફરજિયાત ક્વોરન્ટીન
બધા જાણે છે એમ કોરોનામાં હાલમાં રાફડો ફાટ્યો છે અને નવા કેસો ધડાધડ આવી રહ્યા છે. દિવાળી પછી ગુજરાતમાં અને ખાસ કરીને મોટા શહેરોમાં તો કોરોનાને લઈ ચિંતાજનક વધારો થયો છે. હવે કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે પોલીસ તંત્ર ફરીથી સક્રિય બન્યું છે અને નવા નવા નિર્ણય કર્યા છે. તેમજ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં નવા 1340 કેસો નોંધાયા છે, જ્યારે 7 દર્દીઓનાં મોત નિપજ્યા છે અને 1113 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ત્યારે હવે કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઇલ કોલ ટ્રેસિંગ કરી તે દર્દીને અઠવાડિયામાં સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ ક્વોરન્ટીન કરવામાં આવશે, આ ઉપરાંત માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર સામે ફરીથી પોલીસ આકરી કાર્યવાહી કરશે.
આ બાબતે વધારે વાત કરતાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને પણ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હજુ સ્થિતિ એટલી બગડી નથી. અમદાવાદ જેટલા કેસ હજુ આવ્યા નથી તેથી રાત્રી કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવાશે નહીં. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો પૂરા થયા છે અને લોકોએ સારી રીતે તહેવારને માણ્યો છે પરંતુ પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને આ માટે ફરીથી રાજકોટ પોલીસ તા.20ને શુક્રવારથી નિયમોનો ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી કરશે.
આગળ વાત કરતાં કમિશનર અગ્રવાલે કહ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઇલ નંબરને સીડીઆરથી ટ્રેસિંગ કરવામાં આવશે અને તેના આધારે છેલ્લા આઠ દિવસમાં તે દર્દીના સંપર્કમાં આવનાર વ્યક્તિને શોધી કાઢી તેને પણ ક્વોરન્ટીન કરવામાં આવશે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પર પોલીસ વધુ સખત કાર્યવાહી કરશે, અગાઉના જાહેરનામા મુજબ ટુ વ્હિલર પર બે વ્યક્તિ જ મુસાફરી કરી શકશે, રિક્ષામાં ડ્રાઇવર સહિત ત્રણ, કારમાં ડ્રાઇવર સહિત ત્રણ તેમજ મોટીકારમાં ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિ જ મુસાફરી કરશે, પોલીસ દ્વારા આ અંગે સઘન ચેકિંગ શરૂ કરવામાં આવશે, તેમજ દુકાનો અને મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર દુકાનદાર સામે પોલીસ તો કાર્યવાહી કરશે જ સાથોસાથ મહાનગરપાલિકાને પણ જાણ કરી દુકાનદાર પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે.
જો વિસ્તારના નવા નિયમો વિશે વાત કરીએ તો, જે વિસ્તાર કે મકાનને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હશે તે વિસ્તારમાં રહેતા લોકોને સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરાવાશે. રાજકોટમાં હજુ સ્થિતિ કાબૂમાં છે અને આગામી દિવસોમાં રાજ્ય સરકારની સૂચના મુજબ કર્ફ્યુ સંદર્ભે જરૂર પડ્યે કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિવાળી બાદ સતત કોરોનાનાં નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. અને હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં નવા 1340 કેસો નોંધાયા છે, જ્યારે 7 દર્દીઓનાં મોત નિપજ્યા છે અને 1113 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આમ રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક 1,92,928 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કુલ સાત દર્દીઓનાં મોત નિપજ્યા છે.
જેમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,677 પર પહોંચી છે, જેમાં 87 દર્દીઓની હાલત ગંભીર છે અને 12,590 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ 3830 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને રાજ્યમાં કુલ 1,76,475 દર્દીઓ સાજા થયા છે. આમ રાજયનો સાજા થવાનો દર 91.45 ટકા છે.
નવા કેસોની વિગત જોઈએ તો, વડોદરામાં 149, અમદાવાદમાં 246, રાજકોટમાં 137, જામનગરમાં 38, દાહોદ અને ખેડામાં કોરોનાના 28-28, મહિસાગરમાં 24 નવા કેસ, મોરબી જિલ્લામાં નવા 21 કેસ, અમરેલી-પંચમહાલ-ભરૂચમાં 17 નવા કેસ, આણંદ જિલ્લામાં 19 કેસ, ગાંધીનગર જિલ્લામાં નવા 80 કેસ, સુરત જિલ્લામાં નવા 239 કેસ, પાટણમાં 33 કેસ, સાબરકાંઠા જિલ્લામાં 18 કેસ, કચ્છ જિલ્લામાં 15 કેસ, નર્મદા-સુરેન્દ્રનગરમાં નવા 11-11 કેસ, અરવલ્લી-દ્વારકામાં 9-9 કેસ, ગીર સોમનાથમાં 8 કેસ, પોરબંદરમાં 7 કેસ, છોટાઉદેપુરમાં 5 કેસ, તાપી જિલ્લામાં 3 કેસ, બોટાદમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોના કેસને લઈ આકરો નિર્ણય, પોઝિટિવ દર્દીના મોબાઇલ કોલ ટ્રેસિંગ કરીને આવા લોકોને કરાશે ફરજિયાત ક્વોરન્ટીન"
ટિપ્પણી પોસ્ટ કરો