ભારતના આ રાજ્યમાં રહેતા વિશેષ સમુદાયના લોકો આજે પણ પોતાના ઘરની દીવાલોને રંગે છે કાળા રંગથી, જાણો કારણ
મોટાભાગે આપણે જોઈએ છીએ કે ઘરને દીવાલોને રંગવા માટે કાળા રંગનો ઉપયોગ લગભગ નહિવત જ કરવામાં આવે છે. એટલું જ નહીં ઓઇલ પેઇન્ટ, ઈમલ્શન પેઇન્ટ કે ચુના કલરના કોઈ કેટલોગમાં પણ કાળા રંગનો વિકલ્પ નથી હોતો. તેનું કારણ એ છે કે કાળા રંગની ડિમાન્ડ બિલકુલ નહિવત જેવી જ હોય છે.
પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા ભારતના છત્તીસગઢના જશપુર જિલ્લામાં આદિવાસી બહુમતી ધરાવતા શહેર અને ગામોમાં તમને કાળા રંગે રંગેલા મકાનો જોવા મળશે. આદિવાસી સમાજના લોકો આજે પણ પોતાના ઘરને કાળા રંગથી રંગે છે અને તેના પાછળ તેઓની અમુક માન્યતાઓ પણ છે.
આપણે ત્યાં દિવાળી પહેલા પોતાના મકાનોને રંગરોગાન કરવાનો રિવાજ છે. પરંતુ જશપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો પોતાની પરંપરાને અનુરૂપ પોતાના ઘરને રંગવા માટે કાળા રંગને જ પસંદ કરે છે. ગ્રામ્ય વિસ્તારના લોકો ઘરની દીવાલોને કાળા રંગની માટીથી રંગે છે. આ માટે અમુક લોકો પૈરાવટ સળગાવીને કાળો રંગ તૈયાર કરે છે તો અમુક લોકો ટાયર સળગાવીને પણ કાળો રંગ તૈયાર કરે છે. ઉલ્લેખનીય છે કે પહેલાના સમયમાં કાળી માટી સરળતાથી મળી જતી હતી પરંતુ હવે આવી માટી ન મળવાથી લોકો આ પ્રકારે કાળો રંગ બનાવે છે.
સમાજમાં એકરૂપતા લાવવા માટે સમાન રંગ
અઘરીયા આદિવાસી સમાજના લોકોએ પોતાની એકરૂપતા દર્શાવવા ઘરોને કાળા રંગથી રંગવાનું શરૂ કર્યું. આ રંગ એ સમયથી ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે આદિવાસી સમાજ આધુનિકતાથી જોજનો દૂર હતો. એ સમયે ઘરોને રંગવા માટે કાળી માટી (છુઈ માટી) આવતી અને તેનાથી.જ રંગરોગાન કરવામાં આવતું. આજે પણ કાળા રંગથી રંગેલા ઘર જોઈને એ ખબર પડી જાય કે તે ઘર કોઈ આદિવાસીનું છે. કાળા રંગના કારણે આ એકરૂપતા મળી છે.
કાળા રંગે ઘર રંગવાથી ઘરની અંદર દિવસ દરમિયાન પણ અંધારું લાગે છે જેના કારણે કયા ઓરડામાં શું છે તેના વિશે ફક્ત જે તે ઘરના સદસ્યો જ જાણતા હોય છે. નોંધનીય છે કે આદિવાસી લોકોના ઘરોમાં બારી ઓછી હોય છે અને પ્રકાશ માટેના કાણા પણ નાના હોય છે જેના કારણે ઘરોમાં થતી ચોરી સામે પણ રક્ષણ મળે છે.
આ સાથે જ કાળા રંગની એક વિશેષતા એ પણ હતી કે દરેક ઋતુમાં કાળા રંગની માટીથી રંગેલી આ દીવાલ અંદરની તરફ આરામદાયક રહેતી. એટલું જ નહીં આદિવાસીઓ આ દીવાલોમાં કલાકૃતિઓ પણ બનાવે છે અને આ માટે પણ દીવાલોમાં કાળો રંગ કરવામાં આવે છે.
0 Response to "ભારતના આ રાજ્યમાં રહેતા વિશેષ સમુદાયના લોકો આજે પણ પોતાના ઘરની દીવાલોને રંગે છે કાળા રંગથી, જાણો કારણ"
ટિપ્પણી પોસ્ટ કરો