આપઘાત કરવાનો વિચાર આવતા વૃદ્ધે કર્યો હેલ્પલાઈન પર ફોન, પોલીસે લીધો એવો નિર્ણય કે લોકો કરી રહ્યા છે સલામ
કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકોની જિંદગીમાં ઘણુ પરિવર્તન આવ્યું છે. ઘણા લોકોની નોકરી છુટી ગઈ છે તો ઘણા લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. તો બીજી તરફ ઘણા લોકોએ સાચવેલી બચત પણ ખતમ થઈ ગઈ છે. જેના કારણે લોકો ઘણા લોકો ડિપ્રેશનનો શિકાર બન્યા છે અને વાત આપઘાત કરવા સુધી પહોંચી ગઈ છે. આવી જ એક ઘટના સામે આવી છે સુરતમાં જ્યાં એક વયોવૃદ્ધ વ્યક્તિએ ડિપ્રેશનમાં આવી આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ એક પોલીસ અધિકારીની સજાગતાને કારણે તેનો જીવ બચી ગયો. શું છે આ સમગ્ર મામલો આવો જોઈએ આ અહેવાલમાં.
સુરત જિલ્લા પોલીસની સુસાઈડ પ્રિવેન્શન હેલ્પલાઇન નંબર પર એક દિવસ બપોરના સમયે એક ફોન આવ્યો. સામે છેડેથી એક વૃદ્ધે કહ્યું કે સાહેબ… હું ખૂબ કંટાળી ગયો છું.
બે ટાઈમ પૂરતું ભોજન પણ નથી ખાઈ શકતો, સાથે-સાથે ડાયાબિટીસ અને બીપીની બીમારી છે, જેની દવા ખરીદવાના પણ પૈસા નથી. પગે સોજા આવી ગયા છે, બાથરૂમ જવું હોય તો પથારીમાંથી ઊભા થઈને ચાલી પણ નથી શકાતું. મારું કોઈ નથી, એકલવાયું જીવન જીવું છું, બસ પીડા સહન નથી થતી. આપઘાતના વિચાર આવી રહ્યા છે.
4 દિવસ સુધી વૃદ્ધની પિતાની માફક સેવા-ચાકરી કરી
તો બીજી તરફ ફોન પર હતા હેલ્પલાઈનના ACP ચન્દ્રરાજસિંહ જાડેજા. તેમણે વૃદ્ધને વાતોમાં વ્યસ્ત રાખીને ઘરનું સરનામું પૂછી લીધું. બીજી તરફ, તેમણે ડિંડોલી પીઆઈનો સંપર્ક કરી એક પોલીસ જવાનની મદદથી વૃદ્ધનો જીવ બચાવ્યો હતો. આ વાત ફક્ત આટેલેથી જ ન અટકી પરંતુ ASI નવીનભાઈને આ વૃદ્ધની કાળજી લેવાનું કહ્યું, જેમણે 14 દિવસ સુધી વૃદ્ધની પિતાની માફક સેવા-ચાકરી કરી અને એક દીકરાની જવાબદારી સમજી બે સમયનું ભોજન અને દવાનો તમામ ખર્ચ ઉપાડી લીધો. આમ, ASI એ કરેલી સેવા અને તેની સુજબુજના કારણે આ વૃ્દ્ધનો જીવ બચી ગયો છે અને તેઓ હાલમાં તેમના દીકરા સાથે વલ્લભવિદ્યાનગર સંતરામ આશ્રમમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
વૃદ્ધે ASIને જણાવી આપવીતી
આ વયોવૃદ્ધ વ્યક્તિએ પોતાની સમગ્ર આપવીતી પોલીસને જણાવી હતી. વૃદ્ધે ASIને વધુમાં જણાવ્યું હતું કે સાહેબ, હું શુગરનો દર્દી છું, સાથે બીપી પણ છે. લોકડાઉન દરમિયાન જેટલા પૈસાની બચત કરી હતી તે વપરાઈ ગઈ છે. દવાની વાત તો દૂર ઘરમાં એટલા પણ પૈસા નથી કે હુ બે ટાઈમ ભોજન કરી શકું. હવે મારે જીવન કેવી રીતે પસાર કરવું. કોઈ મદદ કરવા તૈયાર નથી, દીકરાઓ પાસે માગી શકું એમ નથી. ઘણા દિવસોથી દવા ન ખાવાને કારણે પગમાં સોજા પણ આવી ગયા છે. કાંઈ સમજ પડતી નથી. આ સાંભળી રૂંવાડાં ખડાં થઈ ગયાં હતાં.
વૃદ્ધ આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા હતા
આ વૃદ્ધની કહાની શાંભળીને ASI પણ થોડીવાર વિચારમાં પડી ગયા હતા. ત્યાર બાદ ASIએ જણાવ્યું હતું કે મેં તાત્કાલિક નજીકની હોટલમાંથી જમવાનું મગાવી કાકાને ભરપેટ જમાડ્યા. ત્યાર બાદ પૂછ્યું, બોલો કાકા આપઘાતના વિચાર છોડી દો, હવે હું તમારી જવાબદારી ઉપાડીશ, મંજૂર છે. કાકાના મોઢે સ્મિત જોઈ આનંદ થયો. હું પહેલાં તો તાત્કાલિક તેમની દવા લઈ આવ્યો અને તેમને આપી, પછી કાકા ભાવુૃક થઈ ગયા. મારી આંખ પણ છલકાઈ ગઈ હતી. ASI નવીનભાઈ ચૌધરીએ એક વેબ પોર્ટલ સાથે વાત કરતાં જણાવ્યું કે, આ વાત લગભગ 8 ઓક્ટોબરની હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ACP જાડેજાનો પીઆઈ સાહેબ પર ફોન આવ્યો હતો. નવાગામના સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં કોઈ વૃદ્ધ આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા હતા તેવું તેમણે કહ્યું હતું.
મેં નક્કી કર્યું હતું કે હવે આ કાકાને હું સંભાળીશ
જેની જાણ થતા જ તાત્કાલિક ડિંડોલી પીઆઈ સાથે એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર જઈને જોયું તો ફોન કરનારા કાકા ઉંમરવાળા હતા. પૂછપરછમાં તેમણે તેમનું નામ જયવદન જાદવજી પુરોહિત(ઉં.વ.58) કહ્યું હતું. 2019માં પત્નીના મૃત્યુ બાદ એકલવાયું જીવન જીવતા હતા. બે સંતાન વલ્લભવિદ્યાનગરમાં આશ્રમમાં રહી અભ્યાસ કરે છે. એક પુત્ર ટીવાયમાં અને બીજો દીકરો ધોરણ 11માં ભણે છે. બન્ને દીકરાઓ આશ્રમમાં કામકાજ કરી પોતાના ખર્ચા કાઢી રહ્યા છે. આ ઘટના અંગે ASIને વધુમાં જણાવ્યું હતું કે બસ, મેં નક્કી કર્યું હતું કે હવે આ કાકાને હું સંભાળીશ ને લગભગ 14 દિવસ સુધી મેં સમયસર એક NGOનાં મહિલાની મદદથી તેમને બન્ને સમય ભોજન જાતે આપવા જતો અને હાલચાલ પૂછી લેતો.
એક દીકરો પિતાને પોતાની સાથે રાખવા તૈયાર થયો
જો કે આટલા દિવસ તેમની સાથે રહ્યા બાદ આ તેઓ પણ નિખાલસતાથી વાત કરતા થઈ ગયા હતા. આનંદની વાત એ હતી કે 14 દિવસમાં કાકાના મનમાં એકપણ વાર આપઘાતનો વિચાર ન આવ્યો. ત્યાર બાદ મેં તેમના દીકરાઓને મોબાઈલ નંબર પર ફોન કરી આખી હકીકત જણાવી. બસ, એક દીકરો પિતાને પોતાની સાથે રાખવા તૈયાર હતો. તરત મેં તેને સુરત બોલાવ્યો, ત્યાર બાદ બન્નેની મુલાકાત કરાવી અને સુરતમાં બનેલી સમગ્ર વાત દિકરાને કહી. ત્યારે બાદ દિકરો તેમના પિતાને તેમની સાથે લઈ ગયો. આમ એક પોલીસ અધિકારીની માનવતાના કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો.
દીકરો પિતાને સાથે લઈ ગયો
ASIને વધુમાં જણાવ્યું હતું કે દીકરાને સામે જોઈને કાકા ચોંકી ગયા હતા. મારા દીકરાને મારી લાચારી વિશે ખબર પડી ગઈ, પણ દીકરાએ જરા પણ તેના મોઢા પર એ વાતને જાણતો હોય એવા હાઉભાઉ ન બતાવ્યા ને બસ પપ્પા તમારી યાદ આવી એટલે મળવા આવ્યો ને હવે તમે મારી સાથે જ રહેશો, કહી તમને લેવા જ આવ્યો છું. આ સાંભળી કાકાના મોઢે આનંદ જોઈ હું પણ ખૂબ જ હરકમાં આવી ગયો હતો. ભલે આ એક નાનકડી વાત હોય, પણ વૃદ્ધા અવસ્થામાં એક પિતાને દીકરાઓનો પ્રેમ ન મળે તો શું હાલત થઈ એનું જીવતું ઉદાહરણ જોઈ અને સમજી લીધું હતું. બસ, ભગવાનને એક જ પ્રાર્થના કરું છું એક પિતાને આવા દિવસના જોવા પડે એનો ખ્યાલ રાખજે, હું આજથી મારા ધ્યાન પર આવતા આવા વૃદ્ધોની હંમેશાં મદદ કરતો રહીશ.
0 Response to "આપઘાત કરવાનો વિચાર આવતા વૃદ્ધે કર્યો હેલ્પલાઈન પર ફોન, પોલીસે લીધો એવો નિર્ણય કે લોકો કરી રહ્યા છે સલામ"
ટિપ્પણી પોસ્ટ કરો