ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, તહેવારોની સિઝનમાં આ વાતનું રાખજો ધ્યાન નહિં તો પડશે મુશ્કેલી
તહેવારોની સિઝન અને ઠંડીની શરૂઆત થતા રાજ્યમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યું છે. રાજ્યમાં થોડા દિવસો પહેલાં કોરોનાનાં નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. પણ હવે ફરીથી રાજ્યમાં કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. દિવાળીનો તહેવાર નજીક હોવાની વચ્ચે કોરોનાનાં કેસોની સંખ્યા વધતાં રાજ્યની જનતાને જાગૃત થવાની જરૂર છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવાં 990 કેસો નોંધાયા હતા. અને 7 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1055 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા હતા.
કોરોનાનાં કેસોની સંખ્યા 1,77,598 પર પહોંચી
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 990 કેસ નોંધાયા છે. સાથે આજે 1055 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજયનાં કુલ કોરોનાનાં કેસોની સંખ્યા 1,77,598 પર પહોંચી છે. જ્યારે રાજ્યમાં કોરોનાને કારણે કુલ 3,747 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અને કુલ 1,61,525 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર 90.95 ટકા છે. આજે રાજ્યમાં કુલ 51,546 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 63,13,668 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,326
હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,326 છે, જેમાં 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો 12,259 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાને કારણે 7 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 2-2 દર્દીઓનાં મોત નિપજ્યા છે. તો દાહોદ-ગાંધીનગર અને સુરત જિલ્લામાં 1-1 વ્યક્તિ એમ કુલ 7 વ્યક્તિનાં મોત નિપજ્યા છે. ગત રોજ રાજ્યમાં કોરોનાનાં 975 કેસ નોંધાયાં હતા, જ્યારે કોવિડ-19ના કારણે સારવાર દરમ્યાન વધુ 6 દર્દીનાં મોત નિપજ્યાં હતા. બીજી તરફ વધુ 1022 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.
અમેરિકા અને યૂરોપમાં કોરોનાની બીજી લહેર
અમેરિકા અને યૂરોપમાં કોરોનાની બીજી લહેર આવી ચુકી છે. તાજેતરમાં નીતિ આયોગના વીકે પૉલે ઠંડીમાં ભારતમાં પણ કોરોનાની બીજી લહેર આવવાની શક્યતાઓ જણાવી છે. એક શોધમાં કહેવામાં આવ્યું છે કે બીજી લહેર પ્રથમ લહેરથી વધારે જોખમી સાબિત થઇ શકે છે. એવામાં જાણો કે આપણે દેશમાં કોરોનાની બીજી લહેરને કેવી રીતે રોકી શકીએ છીએ અથવા તેના ફેલાવાની ઝડપ કેવી રીતે ઘટાડી શકીએ છીએ.
લોકોએ સાવધાની રાખવાની જરૂર
અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ફંન્ડ ઇન્ફેક્શંસ ડિસીઝના ડાયરેક્ટર એન્ટોની ફૌસીનું કહેવું છે કે આપણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. બીજી લહેર આવ્યા બાદ પૉઝિટિવ આવનાર લોકોની સંખ્યા વધી રહી છે. આપણે તેને ફેલાતાં અટકાવવું પડશે. અન્ટોની ફૌસી અનુસાર, આ તમામ વચ્ચે સારી વાત એ છે કે આપણે કોરોના વાયરસના કેસને વધતાં ઓછા કરી શકીએ છીએ. તેના માટે લોકડાઉનની જરૂરત નથી, માત્ર વિવેકપૂર્ણ, સાવધાની અને ગંભીર સાર્વજનિક સ્વાસ્થ્ય સંબંધિત વિચારથી આપણે આમ કરી શકીએ છીએ. આપણે માત્ર આ સામાન્ય વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઇએ.
માસ્કનો ઉપયોગ કરો
તાજેતરના રિપોર્ટથી સ્પષ્ટ છે કે જે જગ્યાઓ પર માસ્ક પહેરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે ત્યાં કોવિડ-19 કંટ્રોલમાં છે. જ્યારે 50 ટકાથી 80 ટકા લોકો માસ્ક પહેરે છે તો તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. યાદ રાખો કે હવે આપણે માસ્ક પહેરવાની આદત રાખવાની છે વેક્સીન આવ્યા પછી પણ લોકોએ માસ્ક પહેરવુ જરૂરી છે.
ભીડભાડ વાળી જગ્યાઓથી દૂર રહો
ભીડવાળી જગ્યાઓ કોરોના માટે સુપર સ્પ્રેડર જગ્યા બની જાય છે. આ જગ્યાઓ પર વધારે લોકો બચાવ માટેના જરૂરી નિયમ જેવા કે માસ્ક લગાવવાનું પાલન કરતાં નથી. ભારતમાં આ તહેવારની સીઝન છે. એટલા માટે તમારે યાદ રાખવું જરૂરી છે કે ભીડમાં જવાનું નથી. યાદ રાખવાનું છે કે આ પ્રથમ શિયાળાની ઋતુ છે જે મહામારી દરમિયાન આવી છે. ઠંડીમાં કોરોનાનું સંક્રમણ વધશે તેવી વિશેષજ્ઞોએ પહેલા પણ જાણકારી આપી હતી.
સોશિયલ ડિસ્ટન્સ જાળવો
તમે ઘરમાંથી બહાર નિકળતા જ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરો. આ કમ્યુનિટી સ્પ્રેડને અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે. અજાણ્યા લોકોથી ઓછામાં ઓછું 6 ફૂટ અંતર રાખો. જેથી તમે સંક્રમણથી બચી શકો. જે લોકોની સાથે તમે ઘરમાં રહો છો તેમના સિવાય અન્ય કોઇને ઘરની અંદર ન મળશો. ત્યારે જિમ, બાર અને રેસ્ટોરન્ટમાં પણ લોકોની સાથે મળવાનું ટાળો, કારણ કે ઇન્ડૉર સ્પેસમાં કોરોના સંક્રમણ ઝડપથી થાય છે. ખાસકરીને ત્યારે જ્યારે વેન્ટિલેશન સારું ન હોય અને તમે માસ્ક પણ ન પહેરી રાખ્યું હોય.
હાથ ધોવાનું રાખો
કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સતત હાથ ધોવા જરૂરી છે. ઓછામાં ઓછા 60 ટકા આલ્કોહોલ ધરાવતું સેનિટાઇઝર જ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ જ્યારે પણ શક્ય હોય ત્યારે પોતાના હાથને ધોવા સૌથી સારો વિકલ્પ હોય છે. હાથને ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી ધોવા જેથી કિટાણુ નાશ પામે.
ભારતમાં કોરોના
સંક્રમણના કેસમાં વિશ્વમાં બીજા સ્થાન પર ભારત છે. અહીં સંક્રમણના કેસ 84 લાખને પર પહોંચી ગયા છે અને મૃત્યુ પામનારની સંખ્યા પણ એક લાખ 19 હજારથી વધારે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે મ્યૂટેશનથી વાયરસ સતત રૂપ બદલી રહ્યું છે. એક શોધ દરમિયાન જોવા મળ્યું છે કે હ્યૂસ્ટન અને તેની આસપાસ કોરોના વાયરસની બીજી લહેરમાં લગભગ 1000 કોરોના કેસમાંથી 99 ટકામાં વાયરસ D614G મ્યૂટેશન મળી આવ્યું. જેનાથી કોરોનાની બીજી લહેરને લઇને ચિંતાઓ વધી ગઇ છે.
0 Response to "ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, તહેવારોની સિઝનમાં આ વાતનું રાખજો ધ્યાન નહિં તો પડશે મુશ્કેલી"
ટિપ્પણી પોસ્ટ કરો