કોરોનાના RT-PCR કે પછી બીજા કોઈ રિપોર્ટમાં ખબર નથી પડતી? તો એક ક્લિક કરીને મેળવો સમાધાન
વિશ્વની સાથે સાથે હવે કોરોના ગુજરાતમાં પણ જોરદાર વધી રહ્યો છે. એમાં પણ દિવાળી પછી રોજ 1500 નવા પોઝિટીવ કેસ આવી રહ્યા છે. ત્યારે મોટા મોટા સીટીમાં પણ હાલત ખુબ ખરાબ છે. એ જ રીતે દેશમાં પણ લાખો લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને અનેક લોકોનાં મોત થયા છે. ત્યારે ઘણા લોકોને એવી ખબર નહીં હોય કે કોરોનાના કયા કયા ટેસ્ટ હોય છે. ત્યારે જો તમને પણ ખબર ન હોય તો આ સ્ટોરી તમારા માટે મહત્વની સાબિત થઈ શકે છે. કારણ કે અહીં અમે કોરોનાના જુદા જુદા રિપોર્ટ અને ટેસ્ટ અંગે જાણાવવાના છીએ.

આપણે સૌથી પહેલાં અને સૌથી ઈમ્પોર્ટન વાત વિશે ચર્ચા કરીએ તો એ છે CT Valueની વાત. કારણ કે હાલમાં તેની ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે. એમાં એવું છે કે જે લોકો હમણાં RT-PCR ટેસ્ટ કરાવે છે, તેમનો રિપોર્ટ પોઝિટીવ હોય તો તે રિપોર્ટમાં CT Value લખેલી હોય છે. કોઇની 7 કોઇની 17 તો કોઇની 28. ઘણા લોકો આ વેલ્યૂના આધારે ડોક્ટરો સાથે દલીલમાં પણ ઉતરતા હોય છે. ઘણા લોકો આ વેલ્યૂને 100માંથી મળતા માર્કસ સાથે પણ સરખાવતા હોય છે. એટલે CT વેલ્યુ ને લઈને ઘણી ગેરમાન્યતાઓ છે. ત્યારે આવો જાણી લઈએ તે આ વેલ્યૂ શું છે અને શું કહેવા માંગે છે.

CT વેલ્યુને સાયકલ થ્રેશોલ્ડ વેલ્યૂ કહેવામાં આવે છે. તમારા ગળા કે નાકના જે ભાગમાંથી જે સેમ્પલ લીધું છે, તે સેમ્પલમાં વાયરસનો જથ્થો કેટલો હોય શકે તેનું એક અનુમાન માત્ર છે. આ વાયરસ અતિસૂક્ષ્મ એવા RNAનો બનેલો છે, આપણાં મશીનો સીધી એની હાજરી પારખી ના શકે. એટલે RT-PCRની લાંબી લચક અને જટિલ પ્રક્રિયા કરી તેને DNAમાં ફેરવવામાં આવે છે. ( 1993ના વરસનું કેમેસ્ટ્રીનું નોબલ પ્રાઈઝ PCR એટલે કે પોલીમરેઝ ચેઇન રીએકશનના ફાળે જ ગયું હતું) જેથી આપણાં મશીન એના જેનેટિક સિકવન્સ વાંચી શકે. હવે જો સેમ્પલમાં ઓછો વાયરસ હોય તો મશીને તેની હાજરી પકડવા વધારે સાયકલ ચલાવવી પડે અને વધુ વાયરસ હોય તો ઓછી સાઇકલમાં જ તે ઝપટમાં આવી જાય છે.
તો જો વિગતે વાત કરીએ તો CT વેલ્યૂ 26નો મતલબ છે કે, 26 સાયકલ ફેરવ્યા પછી વાયરસ હાથે લાગ્યો, 3 નો મતલબ એમ છે કે ત્રણ જ સાયકલ ફેરવીને વાઇરસ પકડાઈ ગયો છે. જો હવે બીજી રીતે સમજીએ તો ધારો કે તમને ઘરે કોઈ કામ છે અને બાજુમાં મેળો ભરાયો છે. તમને થોડા માણસોની જરૂર છે અને એની શોધમાં તમે મેળા તરફ જાઓ છો. મેળામાં ભીડ હશે તો તમારા કામના માણસો શોધવા વધારે નહીં ચાલવું પડે. ઓછા ડગલામાં તમને તરત માણસ મળી જશે પણ મેળામાં ભીડ નહીં હોય તો કામનો માણસ શોધવા તમારે વધારે ડગલાં ચાલવું પડશે. એટલે કે CT વેલ્યુ વધુ મતલબ મશીનને જે તે સેમ્પલમાં વાયરસ શોધવા થોડી ઓછી મહેનત કરવી પડી અને વેલ્યૂ ઓછી મતલબ કે સેમ્પલમાં તરત વાયરસ મળી ગયો.

હવે એક સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ CT વેલ્યૂ જોઈને કોઈ ચિંતા પણ ના કરવી કે હરખાવવું પણ નહીં ! કેમ કે આ જે તે સેમ્પલની વેલ્યૂ છે. શક્ય છે એ જ દિવસે સાંજે એ જ વ્યક્તિનું બીજું સેમ્પલ લો તો આ વેલ્યૂમાં ફરક પણ આવી શકે છે. ઘણા લોકોને CT વેલ્યૂ વધુ આવી હોય તો પણ સ્થિતિ ગંભીર હોય છે. ઘણાને ઓછી હોય તો પણ વ્યક્તિ સાજો હોય. આ CT વેલ્યૂ પાછળ સેમ્પલ લેવાની પદ્ધતિ, જે રીતે સેમ્પલ ટ્રાન્સપોર્ટ થયું છે ઉપરાંત ટેસ્ટિંગ કરનારની દક્ષતા વગેરે પણ અસર કરતાં પરિબળો છે.
જો આ જ વાતને રોજિંદા જીવન સાથે સરખાવીને વાત કરીએ તો આ પ્રોસસ શાકમાં મીઠા જેવી છે. હવે શાકમાં મીઠું ના હોય અને તમે પાછળથી ઉમેર્યું અને હલાવવાનું ભૂલી ગયા, તો મીઠું ભભરાયું હશે ત્યાથી ચાખશો તો શાક ખારું લાગશે અને બીજી તરફથી ટેસ્ટ કરશો તો મોળું લાગશે. વાયરસની સેમ્પલિંગમાં પણ આવું થઈ શકે. જો વધારે વાત ન કરતાં ટૂંકમાં જણાવીએ તો CT Value તરફ જોવાનું માંડી વાળો. RT PCR ટેસ્ટ એ ફક્ત વાયરસની હાજરી શરીરમાં છે કે નહીં એ જ કહી શકે છે. એ શરીરમાં કેટલો ફેલાયો છે એટલે કે વાયરલ લોડ અંગે ચોક્કસ જાણકારી આપતો નથી.

બીજી વાત કરીએ તો CT Sevirity Scoreની. આ સ્કોર આપણને ડોકટરે પ્રિસ્ક્રાઈબ કરેલા CT Scan પરથી મળે. તમે જોયું હશે 25માંથી આ સ્કોર આપવામાં આવે છે. રેડિયોલોજિસ્ટ ફેફસાની ઇમેજ જોઈને આ સ્કોર આપે છે. આ સ્કોર નક્કી કઈ રીતે થાય છે એની વાત કરીએ તો આપણી પાસે બે ફેફસાં છે. તેમાં જમણા ફેફસાંમાં ત્રણ અને ડાબા ફેફસામાં બે લોબ છે.
જો આ વાતને થોડી સામાન્ય ભાષામાં કહીએ તો ફેફસાંને કબાટ ગણીએ તો જમણા ફેફસાંમાં ત્રણ ખાના છે અને ડાબામાં બે ! કુલ થયા પાંચ ખાના ! આ પાંચ ખાનાઓના પાંચ માર્ક છે અને કુલ માર્કસ પચીસ થાય! હવે એ જોવે છે કે કયા ખાનામાં વાયરસની કેટલી અસર છે. જો ખાનામાં 5 ટકા કરતા ઓછી અસર હશે તો એને 1 માર્ક આપશે અને 75 ટકાથી વધારે અસર હશે તો એને 5 માર્કસ મળશે. આવો સ્કોર દરેક ખાનાનો મપાય છે અને એના આધારે 25માંથી કુલ સ્કોર આવે છે. જો સરવાળો આઠથી નીચે હોય તો હળવી અસર, આઠ થી પંદરની વચ્ચે હોય તો મધ્યમ અને 15થી વધુ હોય તો થોડી અસર વધુ કહેવાય. આ રિપોર્ટમાં વાયરલ ન્યુમોનિયાની અસર છે એવું લખાઈને આવે
કઈ રીચે ચેક કરવામાં આવે અને કેટલા દિવસનો સમય લાગે એની વિસ્તારથી વાત કરીએ તો સામાન્ય રીતે ચેપ લાગ્યાના થોડા દિવસ પછી આ સ્કેન કરવામાં આવે છે અને ફેફ્સાંની સ્થિતિનો સુધારો જોવા લગભગ 3 અઠવાડિયા પછી સ્કેન જોવામાં આવે છે. જો કે આ સ્કોર એકલો કોઈ ટ્રીટમેન્ટ માટે કાફી નથી, અન્ય ક્લિનિકલ અને પેથોલોજિકલ પેરામીટર્સ પણ સાથે જોવા પડે અને પેશન્ટને એડમિટ કરવો કે હોમ આઇસોલેશનમાં રાખવો કે દવા કેવી રોતે આપવી એ માત્ર કેસ હેન્ડલ કરતાં ડોકટર જ કહી શકે. કારણ કે એનો જ વિષય છે. જો કે દર્દીને આ સ્કોરથી કોઈ ગભરાવાની જરુર નથી.

હવે આપણે વાત કરીશુ CRPની કે જેને સી રીએક્ટિવ પ્રોટીન કહેવામાં આવે છે. CRP એ ઇન્ફ્લેમેશન માર્કર છે. શરીરમાં કોઈ ચેપ લાગે એટલે શરૂઆતના તબક્કામાં CRP વધી જાય છે. CRP પહેલા 6 થી 8 કલાકમાં વધે અને 48 કલાકની અંદર 300 – 350 mg/l જેટલું પ્રમાણ શરીરમાં થઈ શકે છે. આના કારણે તે સાજા કોષને નુકશાન પહોચડવાની શરૂઆત કરે ત્યારે CRP લેવલ વધવા લાગે.

D-Dimer શબ્દ વિશે પણ દરેકે ખાસ સમજવા જેવું છે. કારણ કે ઘણા લોકોને ડોકટર D-Dimer ટેસ્ટ કરવાની સલાહ આપે છે. ત્યારે બધા મુંજાઈ જાય છે કે આખરે આ શું છે. તો આપણે સમજીએ કે D-Dimer શું છે? તમે જોયું હશે કે આપણને ક્યારેય વાગે તો થોડી જ ક્ષણોમાં લોહી જામવાનું શરૂ થઈ જાય. બ્લડ ક્લોટિંગ કહેવાય એને જેથી શરીરમાંથી વધુ લોહી વહેતું અટકી જાય છે. થોડા સમયમાં એ જામેલો લોહીનો ગઠ્ઠો પણ વિસર્જિત થવા લાગે છે. આ સમયે જ D-Dimer લોહીમાં રીલીઝ થાય છે. અતિ ઉત્સાહી રોગ પ્રતિકારક શક્તિના પ્રતાપે શરીરની અંદર ક્યારેક લોહીના ગઠ્ઠા બનવાની અને તૂટવાની શરૂઆત થાય છે. એના ફાયદાની વાત કરીએ તો D-Dimer થી આપણને આ પ્રક્રિયા થઈ રહી છે તેની જાણ થાય છે અને ડોકટર ત્યાર બાદ લોહી પાતળું કરવા માટે ટ્રીટમેન્ટ આપે છે.

Ferritin તો એક એવો શબ્દ છે કે નામ પરથી જ ખબર પડી જાય કે ફેરિટીન એટલે કોઈ પ્રોટીનની વાત છે. અને ખરેખર એ એક પ્રોટીન છે જે શરીરમાં લોહતત્ત્વ કે આયર્નને જાળવે છે. આપણે જે ખોરાક લઈએ તેમાંનું થોડું આયર્ન લાલ રક્ત કણો કે RBC બનાવવામાં વપરાય છે અને બાકીનું Ferritin સ્વરૂપે લીવર, મસલ્સ અને સ્પ્લીનમાં સચવાય છે. શરીરની ઇમ્યુનિટી ઓવર એક્ટિવ થવાથી શરીરના સાજા કોષને નુકશાન થવાનું શરૂ થાય છે. આ કોષમાં નુકસાન થવાને લીધે અંદર સચવાયેલું ફેરિટીન રીલીઝ થાય છે અને તેનું વધતું લેવલ પણ વાયરસના લીધે શરીરમાં કેટલો ઉત્પાત મચે છે એના વિશે જાણકારી આપી શકે છે.
ઉલ્લેખનીય છે તે હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે ફરી સામાન્ય વધારો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1514 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,17,333એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4064એ પહોંચ્યો છે. જ્યારે 1535 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર 91.28 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,668 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોનાના RT-PCR કે પછી બીજા કોઈ રિપોર્ટમાં ખબર નથી પડતી? તો એક ક્લિક કરીને મેળવો સમાધાન"
ટિપ્પણી પોસ્ટ કરો