અમદાવાદમાં આ લોકોને લાગ્યો લોકડાઉનનો ડર, હોળી-ધુળેટીની ઉજવણી માટે દોડ્યા વતન, શું આટલી ભીડમાં કોરોના ના થાય? PICS
આખા દેશમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે અને એમાં ગુજરાત પણ બાકાત નથી, જેને ધ્યાનમાં લઈને સરકારે ધુળેટી રમવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારના આ નિર્ણયથી વેપારીઓ તેમજ ધુળેટી રમવાના રસિયાઓ હતાશ થયા છે.
તમને જણાવી દઈએ કે રાજસ્થાનીઓ માટે આ ખૂબ જ મહત્વનો તહેવાર છે અને અમદાવાદમાં ધુળેટી પર પ્રતિબંધ હોવાથી હવે અમદાવાદના રાજસ્થાનીઓપોતાના વતન જવા માટે રવાના થયા છે, જેને લઈને ગઈકાલે શાહીબાગ વિસ્તારમાં લોકોની મોટી ભીડ જામી હતી.
વતન તરફ જતા લોકોએ એડવાન્સમાં વધારે પૈસા આપીને બસ ટિકિટો બુક કરાવી દીધી હતી, પણ રાત્રિ કર્ફ્યૂ હોવા છતાં રાત્રે 9 વાગ્યા પછી 500થી વધુ સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અને એટલું જ નહીં ઘણા લોકોએ માસ્ક પણ નહોતું પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો.
અમદાવાદ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં સૌથી વધુ રાજસ્થાનીઓ રહે છે અને મોટા ભાગના લોકો ખાનગી બસમાં રાજસ્થાન જવાનું પસંદ કરતા હોય છે. શહેરના શાહીબાગના નમસ્તે સર્કલ આગળ રાત્રિના સમયે રાજસ્થાન જનારા લોકોની ભીડ જોઈને જાણે એવું લાગતું હતું કે કોઈ મેળો ભરાયો છે.
નમસ્તે સર્કલની આજુબાજુ લગભગ 30થી વધુ ટ્રાવેલ્સ બસની લાંબી લાઇન લાગી હતી, સાથે રાજસ્થાન સરકારે પણ કોઈપણ રાજ્યમાંથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત લઈને આવવા સૂચન કર્યું હતું .
જો કે માત્ર 2-3 લોકો સિવાય કોઈએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો ન હતો. તેમણે જણાવ્યું હતું કે ટેસ્ટ બોર્ડર પર કરાવીશું, અહીં કરાવીએ ને પોઝિટિવ આવે તો રાજસ્થાન જઈ ન શકાય.
મોટી સંખ્યામાં લોકોએ બસ ટિકિટનું એડવાન્સ બુકિંગ કરાવી દીધું હતું, જે લોકોએ બુકિંગ નહોતું કર્યું તેમને નોન-એસી બસના 700ને બદલે 900 ચૂકવવા પડ્યા હતા અને એસી 1200થી 1500 જેટલું ભાડું ચૂક્વ્યું હતું.
લોકો નાઈટ કર્ફ્યૂ હોવા છતાં લોકો 9:30 વાગ્યા સુધી બસની રાહ જોઈને ઊભા રહ્યા હતા, સાથે કેટલીક ટ્રાવેલ્સની બસ અને એમની ઓફિસ પણ 9;30 વાગ્યા સુધી ખુલ્લી હતી. આ સમયે પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી, પરંતુ 500થી વધારે લોકો અને 20 જેટલી બસને જોઈ તેઓ પણ કઈ કરી શક્યા નહોતા.
વધતા જતા કોરોના કેસના કારણે ગુજરાત રાજ્યમાં પણ લોકોને હોળી-ધુળેટીની સાદાઈથી અને મર્યાદિત લોકો સાથે ઊજવવા માટે જણાવાયું છે. જોકે રાજ્યનાં કેટલાંક ગામોમાં હોળી-ધુળેટીના દિવસે મેળો પણ યોજાય છે.
અમદાવાદ શહેરમાં પણ લોકો પાર્ટી પ્લોટમાં, શેરીઓ અને પોળમાં ભેગા થઈને હોળી ઉજવે છે, પણ આ વખતે હોળી-ધુળેટીની મજા દર વર્ષ જેવી નહિ હોય કારણ કે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને તમામ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
હોળી-ધુળેટી તહેવારની ઉજવણી કરવા રાજસ્થાન જતા એક મુસાફરે જણાવ્યું હતું કે કોરોના હજી પણ છે, લોકોએ સાવચેતી રાખવી પડશે. અમારા માટે આ તહેવારનું ખૂબ જ મહત્ત્વનું છે, એટલે અમે બધી જ સાવચેતી રાખીશું. સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરીશું, સાથે રાજસ્થાનમાં પ્રવેશ પહેલાં RTPCR ટેસ્ટ આવશ્યક છે, અમે ત્યાં બોર્ડર પર કરાવીશું અને ત્યાંની સરકારના આદેશ અનુસાર, હોળી-ધુળેટીની ઉજવણી કરીશું.
0 Response to "અમદાવાદમાં આ લોકોને લાગ્યો લોકડાઉનનો ડર, હોળી-ધુળેટીની ઉજવણી માટે દોડ્યા વતન, શું આટલી ભીડમાં કોરોના ના થાય? PICS"
ટિપ્પણી પોસ્ટ કરો