હેલ્મેટ ખરીદતા કે વેચતા પહેલા નવો નિયમ જાણી લેજો નહીં તો ખાવી પડશે જેલની હવા
રસ્તા પર ટુ વ્હીલર ચલાવતા સમયે સારા હેલ્મેટનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારું હેલ્મેટ હંમેશાં અકસ્માતમાં થતાં નુકસાનથી બચાવે છે. કેટલીકવાર બાઈકસવારનું જીવન ફક્ત સારા હેલ્મેટને કારણે જ બચી જાય છે. પરંતુ ઘણી વાર એવું જોવા મળે છે કે લોકો રસ્તા પર ગમે ત્યાંથી સસ્તા હેલ્મેટ ખરીદીને નાણાં બચાવવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ હવે આવુ ચાલશે નહીં, કારણ કે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 1 જૂન, 2021થી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અથવા આઈએસઆઈ માર્ક વિનાના હેલ્મેટ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ મુજબ, ટુ-વ્હીલર્સ પર આઇએસઆઈ માર્કવાળા હેલ્મેટનો ઉપયોગ ન કરતા ડ્રાઇવરો પર કેસ દાખલ કરી શકાય છે અને દંડ પણ વસુલી શકાય છે.

ડ્રાઈવરો ઘણીવાર દંડથી બચવા માટે હલકી ગુણવત્તાવાળા હેલમેટનો ઉપયોગ કરે છે. તેમને આ હેલ્મેટ ફૂટપાથ પર 200 થી 250 રૂપિયામાં મળી જાય છે. રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક કર્મચારીઓ ટુ વ્હિલરના ચાલકને માથામાં હેલ્મેટ જોઇને જવા દેતા હોય છે. પરંતુ નવા નિયમો અનુસાર હવે ચાલકોએ માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ સલામતી માટે સારી ગુણવત્તાની હેલ્મેટ પહેરવાની રહેશે. હાલમાં લોકોને આ માટે જાગૃત કરવામાં આવશે, ત્યારબાદ તેમને આઈએસઆઈ માર્કનું હેલ્મેટ ન હોવા અંગેના ચલણ આપવામાં આવશે.
કાયદેસરની કાર્યવાહી થશે

કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ જો કોઈ આઈએસઆઈ માર્ક વિના હેલ્મેટ વેચે અથવા ખરીદે તો બંને સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે કે હવે ટૂ વ્હીલર ડ્રાઇવરોએ આઇએસઆઈ માર્કવાળા હેલ્મેટ પહેરવા જરૂરી બની ગયું છે. આ હેલ્મેટ BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) પ્રમાણિત હોવું જોઈએ.
ગયા વર્ષે જાહેરનામું બહાર પાડ્યું

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 26 નવેમ્બર 2020 ના રોજ જાહેર કરેલા જાહેરનામું મુજબ, ટુ વ્હીલર મોટર વ્હીકલ ડ્રાઇવરો માટે હેલ્મેટ્સ (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર, 2020” જણાવે છે કે તમામ ટુ-વ્હીલર્સ માટે ઉપયોગમાં લેવાતા હેલ્મેટ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) પ્રમાણિત હોવા જોઈએ અને તેમના પર 1 જૂનથી ભારતીય ધોરણ (આઈએસઆઈ)ની નિશાની હોવી જોઈએ.
આટલો દંડ થઈ શકે છે

આ નવા નિયમો દ્વારા કેન્દ્ર સરકાર માર્ગ પર દ્વિચક્રી વાહન ચલાવનારાઓની સલામતી સુધારવાનો છે. નવા કાયદાનું પાલન નહીં કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઉલ્લંઘન કરનારાઓને દંડ પણ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આઈએસઆઈ માર્ક વગર હેલ્મેટનું ઉત્પાદન કરે છે, સ્ટોર કરે છે, વેચે છે અથવા આયાત કરે છે, તો તેને એક વર્ષ સુધીની મુદત માટે કેદની સજા અથવા એક લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.
0 Response to "હેલ્મેટ ખરીદતા કે વેચતા પહેલા નવો નિયમ જાણી લેજો નહીં તો ખાવી પડશે જેલની હવા"
ટિપ્પણી પોસ્ટ કરો