અમદાવાદમાં કોરોનામાં લોકોને બચાવનાર ફાયરમેને 40 દિવસે કોમામાંથી બહાર આવતા બન્યો લકવાનો ભોગ
છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર દેશ સહિત ગુજરાત પણ કોરોનાના સકંજામાં સપડાયેલું છે. આવા કપરા સમયમાં સૌથી ઉત્તમ અને જોખમી કામગીરી કોરોના વોરિયર્સની રહી છે. જો કોરોના વોરિયર્સ ન હોત તો સ્થિતિની કલ્પના કરવી પણ અશક્ય છે. ડોક્ટર, પેરા-મેડિકલ સ્ટાફ, પોલીસ, ફાયરબ્રિગેડ વિભાગ સહિત અનેક સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકોએ પોતાના જીવની સહેજ પણ પરવા કર્યા વગર કોરોના દર્દીઓ તેમજ તેમના પરિવાર માટે મદદરૂપ રહ્યા છે. અને પોતાના આ સેવાભાવી કામ દરમિયાન અનેક વોરિયર્સે પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

આજે અમદાવાદના એવા જ એક રૂંવાડા ઉભા થઇ જાય તેવા કિસ્સા વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં એક ફાયરમેન લોકોને કોરોના સંક્રમણથી બચવાવા પોતે મરણ પથારી સુધી પહોંચી ગયો છે.

કલ્પેશ પટેલ કે જે અમદાવાદના નવરંપુરા ફાયર સ્ટેશનના કર્મચારી છે તે કોરોનાકાળમાં સેનિટાઈઝેશન ઓપરેશનનો ભાગ બન્યા હતા. કલ્પેશ પટેલ સતત સેનિટાઈઝનો છંટકાવ કરવાને પગલે મોટા પ્રમાણમાં સોડિયમ હાઇપોક્લોરાઇડના સંપર્કમાં આવતા હતા. એવામાં ગયા વર્ષની 30 એપ્રિલના રોજ સેનિટાઈઝેશન કરતી વખતે અચાનક કલ્પેશ પટેલ ચક્કર ખાઈને નીચે પડી ગયા હતા, એ પછી એમના સાથી કર્મચારીઓ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા.

કલ્પેશ પટેલને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલમાં પણ ડોક્ટર્સ દ્વારા તેમની સારવાર શરૂ કરી દેવાઈ, પરંતુ કલ્પેશ પટેલ હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ કોમામાં જતા રહ્યા હતા. આ અંગે ડોક્ટર્સનું કહેવું છે કે કલ્પેશ પટેલ સેનિટાઈઝેશન ઓપરેશનમાં હતા, જેને કારણે લાંબા સમય સુધી સોડિયમ હાઇપોક્લોરાઇડના સંપર્કમાં આવ્યા હતા અને બસ એ જ કારણે તેઓ કોમામાં જતા રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે કોરોના વોરિયર્સ કલ્પેશ પટેલ સતત 40 દિવસ સુધી કોમામાં રહ્યા બાદ ફરીથી ભાનમાં આવ્યા હતા, પરંતુ એમની સ્થિતિ હજુ પણ નાજુક હતી. જ્યારે કલ્પેશ પટેલ કોમામાંથી બહાર આવ્યા તો એમના સાથી કર્મચારીઓ તેમજ તેમનાં પરિવારજનોમાં ખુશીની લહેર ફરી વળી હતી પણ નસીબને કંઈક બીજું જ મંજુર હતું.કલ્પેશ પટેલને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કલ્પેશ પટેલે કોમામાંથી તો જીત મેળવી લીધી પણ ત્યારબાદ તેમને લકવાનો હુમલો થયો હતો, જેને કારણે છેલ્લા લાંબા સમયથી તેઓ પથારીવશ છે. કલ્પેશ પટેલની પત્ની અને તેમનાં બાળકોને હવે એટલી ખુશી છે કે કલ્પેશ પટેલ હવે તેમને ધીમેં ધીમે ઓળખતા થયા છે.
પહેલેથી જ આટલી તકલીફોમાંથી પસાર થઈ રહેલા કલ્પેશ પટેલના પરિવાર પર વધુ એક મુશ્કેલી ત્યારે આવી જ્યારે કલ્પેશ પટેલના પિતાનું અવસાન થયું હતું. એક બાજુ પુત્ર હોસ્પિટલમાં મૃત્યુ સામે લડી રહ્યો હતો અને બીજી તરફ, પિતાના અંતિમ સંસ્કાર થયા હતા.
ડોક્ટરનું કહેવું છે કે કલ્પેશ પટેલને હજુ પણ સંપૂર્ણ સ્વસ્થ થતાં 6થી 8 મહિના જેટલો સમય લાગી શકે છે. તો કલ્પેશ પટેલને મળતી મેડિકલ તેમજ અન્ય રજાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે અને તેમનો પગાર પણ આવતો બંધ થયો છે જેના કારણે સારવાર તેમજ પરિવારનું ગુજરાત ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

નવરંગપુરા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કલ્પેશ પટેલ સેનિટાઈઝેશનની કામગીરી દરમિયાન બીમાર થતાં તેઓ હાલ રજા પર છે અને તેમની સ્પેશિયલ સીક લીવ મંજૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મૂકવામાં આવ્યો છે કે કલ્પેશ પટેલ 30 એપ્રિલ 2020થી જ્યાં સુધી સાજા થઈને ફરજ પર પરત ન ફરે ત્યાં સુધી તેમની સ્પેશિયલ સીક લીવ મંજૂર કરવામાં આવે.
0 Response to "અમદાવાદમાં કોરોનામાં લોકોને બચાવનાર ફાયરમેને 40 દિવસે કોમામાંથી બહાર આવતા બન્યો લકવાનો ભોગ"
ટિપ્પણી પોસ્ટ કરો